મોર ટહુકે મારે આંગણે,
કળા કરતો મારે આંગણે,
મોર મલકે મારે આંગણે,
મોર જોઇ મન મારું મલકે,
મોર આજ મારે આંગણે..કેવી કળા કરતો હરખાય..
આંખ નથી એથી હું આંધળી નથી,
આંધળી કહેશો નહી મને,
મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
ઇશ્વરે આંખને બનાવ્યા છે કાન,
વ્હાલે આપી છે ઘણી મને શાન..આંધળી કહેશો નહી મને
દિવસ-રાત ને સ્પર્શિ શકું,
ચંદ્રના તેજ ને ભાળી શકું…આંધળી કહેશો નહી મને
‘મા’ ના ખોળામાં બેસી,
આખી દુનિયા નિહાળી શકું…આંધળી કહેશો નહી મને
લખીને સારી સૃષ્ટીને સંદેશો આપી શકું,
હજાર છે આંખો નિહાળવા મને..આંધળી કહેશો નહી મને
અમો બાળનાના..
નવા-વરસની એજ પ્રાર્થના..
કૃપા રહે મા, સરસ્વતીની અમારા પર..
ભાવિ અમારું ઉજ્જવળ બને,
સિર પર મા-બાપના હાથ રહે,
ભાઇ-ભાડુંમાં પ્રેમ રહે,
સૌની સાથે સંપ રહે.
સૌમાં મંગળ ભાવ રહે.
શિશ નમાવી,એક પ્રાર્થના અમારી,
રાખજે સદા ક્ષત્રછાયા મા-બાપની.
અમો તો ફૂલ નાના,
છોડની રક્ષા કરજે સદા..
એજ અમારા ભગવાન,
એજ અમારા પાલનહાર,
એને સુરક્ષિત રાખજે સદા.
કોટી કોટી વંદન,
મા-બાપ મારા, આજ દિવાળી,
કાલ દિવાળી, સદા દિવાળી..
જ્યાં સદા હોય આશિર્વાદ આપના..
મા,મા, દિવાળી આવી,
રંગ ભરેલી રંગોળી આવી,
મીઠી, મધુરી મીઠાઈ લાવી,
દીપ-માળા પ્રગટાવતી આવી..મા,મા દિવાળી આવી
શુભ-લાભના સાથિયા પાડવા,
કંકુ પગલા પાડતી આવી.મા,મા દિવાળી આવી
મંગળ-આરતી કરી ધન-તેરસે,
કંસાર-ખાતી લક્ષ્મી-આવી.મા,મા દિવાળી આવી
મને ભાવે મા, ઘારી-ઘુઘરા,
એ આવીતો સૌ મીઠાઈ સાથ લાવી.મા,મા દિવાળી આવી
દિવાળી સાથ નૂતન-વરસ લાવી,
મા, તારા આશિર્વાદ લેવા હું આવી.મા,મા દિવાળી આવી
******************************************************************
મા! મારે લેવા છે ગરબા,
મા મારે રમવા છે રાસ.
ચણિયો ને ચૂંદડી રોજ,રોજ પે’રી,
સહેલીઓને સાથ મારે લેવા છે રાસ.
ઝાંઝર જમકાવતા,ચુડીઓ ખનકાવતા,
અંબા માની સાથ મારે લેવા છે રાસ.
માથે મટુકીમાં દિવડો પ્રગટાવતા,
ગરબીની આસ-પાસ મારે લેવા છે રાસ.
નવરાત્રીની આ રાત રૂડી રળિયામણી,
નવા,નવા વસ્ત્રો સજી,મારે લેવા છે રાસ.
-વિશ્વદીપ બારડ
કેમ ભુલુ,આપની આંગળી પક્ડી,
પહેલી પા પા પગલી ભરી હતી..
ધોડો, ઘોડો ખેલતા ખેલતા,
પહેલી સવારી આપની પર કરી હતી.
રમવા રમકડા નિત દીન,
ખુશીથી ખરીદી કરી હતી.
શું, શું નથી કર્યું,મને ખુશ કરવા,
જાત આપની નિચોવી હતી.
વંદુ આજ, આશિષ આપજો આજ,
જન્મદાતા આપની સાચી મહેરબાની હતી.
ચંદ્રનું તેજ મારી મા માં,
સૂર્યનો પ્રકાશ માર પિતામાં.
ફૂલોની ખુશ્બું ભરી છે મારી મા માં,
વૃક્ષની છાયા છે મારા પિતા માં.
નદીના નિર્મળ જળ જેવી મારી મા,
સાગરની વિશાળાતા છે મારા પિતામાં.
બસ સઘળું સમાયું મા-બાપમાં,
જીવન સમર્પણ કરું મા-બાપમાં.
મા, બસ એક હારલડું ગા,
મને મન ગમતું એવું ગીત ગા.
ઉંઘ મનેઆવે જો પાસ તું આવે,
આવે સુંદર નિંદર એવું ગીત ગા.મા, બસ..
રમવા રમકડા,દોડી દોડી થાક્યો,
ચાંદો આવે પાસ એવું ગીત ગા..મા, બસ..
પરીઓના દેશમાં ઉંડી,ઉંડી જાવ,
મીઠા લાગે સપના,એવું ગીત ગા..મા, બસ
-વિશ્વદીપ બારડ
મા મને તારી પાસ રહેવું ગમે..
મા મને તારા ખોળામાં આળોટવું ગમે..
મા મને બસ તારી બાહુંમાં રહેવું ગમે..
મા મને રોજ રાતે વારતા સાંભળવી ગમે…
મા મને રોજ રોજ હાલરડું સાંભળવું ગમે..
મા મને રોજ રોજ સ્વપ્નામાં આવે એવું ગમે..
મા મને બીજું કશું નહી, તારો અવિચળ પ્રેમ ગમે..
મા, મને ગમે બાળ-ફૂલવાડી,
મન ગમતા રંગીન ફૂલોની વાડી. મા મને…
એ વાડીમાં નાની નાની ગાડી,
બેસીને લે’ર કરું મારી માડી.મા મને…
રંગ-બેરંગી ફૂલોમાં ઉડતા પતંગીયા,
દોટ મૂકી પકડતતો પતંગીયા. મા મને..
સૌ ભેળુ સાથ બેસી મજા અમે માણતા,
ભલી-ભોળી વાત અમે માણતા. મા મને..
એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.
એજ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!
આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે દિવાળી રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!
દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર એક નાના ઘરમાં દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !
આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને સાથો સાથ આનંદ-મંગલની આરતી થતી રહી!
પતિ-દેવની ચિંતા!!
રમેશ ને ઓફીસથી ઘેર આવતાં થોડું મોડું થઈ ગયું.. ઘેર આવતાની સાથેજ એમની પત્ની બોલી, “હું તમારી કેટલી ચિંતા કરતી હતી, ડિયર !! અમેશે કહ્યું કે આજે થોડું કામ આવી ગયું. પત્ની બોલી, મને તો તમારી ચિંતા બહુંજ થાય, ડિયર ! અમેશે કહ્યું કે મારા થી ફોન કરવાનો રહી ગયો, ડાર્લીંગ!! સોરી!..પણ હું તો અડધી, અડધી થઈ ગઈ.. “હા કોક વાર મોડું થઈ જાય, એમાં આટલી બધી ચિંતા તારે નહીં કરવાની!!ડાર્લિગ!”! પત્ની બોલી કે શું ચિંતા નહીં કરવાનું કહો છો !! થોડીવાર પહેલાંજ મેં ટીવી માં સમાચાર સાંભળ્યાં કે..” એક ગાંડો માણસ બસ નીચે કચડાઈ ગયો!! ત્યારથી તો તમારી ચિંતાજ ખાઈ જાતી હતી!…હે! તે શું કિધું??????
*******************************************************
એક ટ્રેઈનને આક્સ્મા થતાં તેના ચાર ડબ્બા ઉથલી પડ્યાં. એમાં ૧૦ જેટલાં વ્યક્તિ મરણ પામ્યાં. એમાંથી બચી ગયેલ એક ભાઈ ઘેર આવી પત્નીને કહ્યું..” ડાર્લિગ!! તારા અમર અને
સાચા પ્રેમને કારણે હું બચી ગયો !! નસીબ જોગે હું જે ડબ્બા ઉથલી પડ્યાં તેના પછીના ડબ્બામાં બેઠેલ હતો!! બીજે દિવસે સવારે પત્ની છાંપુ લઈ ને આવી ને કહ્યું આ વાંચો !!લખ્યું છે કે…”ગઈ કાલના ટ્રેઈન અકસ્માતમાં માર્યા ગયેલા માણસોની પત્ની ને પાંચ લાખ આપવામાં આવશે”
તમે પણ..!! લો !મને શું મળ્યું ?? આ બધા બૈરા નસીબદાર ! પાંચ, પાંચ લાખ તો મળ્યા!
*****************************************************************
એક પળ- શ્રીરાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪
જુલાઈ-2007માં -‘તાદથ્યૅ’ મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નીકળ્યાં” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય જરૂર આપશો.
********************************************
ગઝલનો આસ્વાદ
નભના નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના શ્વાસ રુંધાયા, શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ક્યાં હતું મારું અહી કોઈ ઠેકાણું આ શહેરમાં,
ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં ?
સગા- સંબંધીની ખુશામત અહી જિંદગી-ભર કરી,
કાંધો આપવા એ ઘેરથી બહું મોડા નીકળ્યાં.
ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન-ભુલી ને,
મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.
-વિશ્વદીપ બારડ
શીષૅકશૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક મિસરો જરી ઝીણી નજરે જોઈ તો સંવેદનાનો વ્યાપ આવે.
અહી તો મતલો જ અધિક ધ્યાનાહૅ છે-‘નભના નગર નિકળ્યા’…
ગુજરાતી કાવ્યસાહિત્યમાં નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વણૅવાયું મળે કદી, પણ આહીં તો કવિએ નભના નગરને નીકળતાં વણૅવ્યાં છે.સિટી ઑવ સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાધૅ કડી એનું શમન કરેછે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યૅકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ઉધ્વૅ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ રુંધામણ પછીનું રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું ને શ્વાનોનું ભસવું સહજ છે.
કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીણૅ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.
બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારાઆનિકેતનાનો અંદાજ આપેછે-‘ક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં ?’ બીજી તૂક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ ; પ્રયોગથી નભ તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.
મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટાલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
‘કાંધો આપવા એ ઘેરથી બહુ મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની પ્રસ્તુતિ ગઝલીઅતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…
‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)
ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-‘મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)
પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદપાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.
-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદથ્યૅ’ મેગેઝીન, ગુજરાત
આસુંના તોરણો બાંધવા સહેલા નથી,
હ્ર્દયના તોફાનો રોકવા સહેલા નથી.
ધર્મ, કર્મનો મર્મ કોણ જાણે અહીં?
માનવ મંદીર બાંધવા સહેલા નથી.
ભલે પરિભ્રમણ કરતો બ્રહ્માંડમાં તું,
અનંતના રસ્તા શોધવા સહેલા નથી.
મોતને મળીશું એકવાર જરુર અહીં,
લાશ સઘરવાના રસ્તા સહેલા નથી.
‘દીપ’, કોણ કરશે યાદ ગયાં પછી?
અમર થવાના ખ્યાલ સહેલા નથી.